Wednesday, October 3, 2012

ગણેશ ચતુર્થી મહોત્સવ 2012

वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ : |
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ||

શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. જોગાનુંજોગ ઘણા વર્ષો પછી આ વર્ષે ગણેશચતુર્થી બુધવારે આવી હતી. દરવર્ષની જેમ આ વર્ષે પણ આત્મીય વિદ્યા મંદિરમાં ગણેશચતુર્થી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.


તારીખ 19-09-2012 ના દિવસે સાંજે 4:30 કલાકે શુભ ચોઘડિયામાં ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગજાનંનનું સ્થાપના-પૂજન મુખ્ય યજમાન શ્રીમાન રાજેન્દ્રભાઈ ગીરાસે દ્વારા કરવામાં આવ્યું. ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી આચાર્ય પુષ્પક જોષી દ્વારા પૂજનવિધિ કરવામાં આવી હતી. જેમાં વૈદોક્ત મંત્રો સાથે પૂજન કર્યું તથા ગોળના પાણીથી ભગવાન લંબોધરનો અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ શ્રી ગણેશજીનું શાસ્ત્રોક્ત પૂજન, આરતી, ઈત્યાદિ આરાધના સશ્રદ્ધ રીતે કરવામાં આવી અને પ્રસાદ વિતરણ થયું.

આમ, પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા, અર્ચના, આરતી, ભજન કિર્તન વગેરે કરવામાં આવ્યું. અંતે વિદાયની વેળા આવી. તારીખ 24-09-2012 ના રોજ સાંજે 4:00 કલાકે ખૂબ જ ધૂમધામથી ગણપતિનો વરઘોડો કાઢવામાં આવ્યો અને આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં ફેરવવામાં આવ્યો. સાંજે 6:30 કલાકે ભારે હૈયે ગણપતિજીનું વિસર્જન કરીને ભાવભીની વિદાય આપવામાં આવી.

આવા અષ્ટવિનાયક સુખ કરતા, દુ:ખ હરતા, વિઘ્ન વિનાયક ગણપતિ દેવને કોટિ કોટિ વંદન !!!

ગૌતમ

No comments: